ઘેટીપાગ યાત્રા પરિચય
એક દિવસમાં બે યાત્રા કરનારા મહાનુભાવો બીજી યાત્રા ઘેટી પાગથી કરે છે. બીજી યાત્રા કરનારા યાત્રાળુઓ એક યાત્રા કર્યા પછી સગાળ પોળથી બહાર નીકળીને કુંતાસર ચોકમાં આવે છે. ત્યાંથી ડાબી બાજુના રસ્તે ઘેટી પાગ તરફ જાય છે. થોડા આગળ જતાં કુંતાસરની બારી (અથવા ઘેટીની બારી) આવે છે.
તેમાંથી બહાર નીકળીને નીચે ઉતરતાં લગભગ અર્ઘા રસ્તે ડાબી બાજુ એક દેરી અને પરબ આવે છે. ત્યાંથી ઘણું ઉતર્યા પછી ઘેટી પાગની દેરી આવે છે.
શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી આંબડ વિ. સં. 1213માં શત્રુજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં બીજી યાત્રાનું પહેલું ચૈત્યવંદન કરવાનું હોય છે.
ઘેટી પગલાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક વગેરે અનેક મંદિરો છે.
સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે. ત્યાં બઘાં દેરાસરોના દર્શન કરીને પાછા ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. ઉપર ચઢીને દાદાની ટૂકમાં ફરીથી પહેલાંની જેમ શ્રી શાંતીનાથજી આદિની સમક્ષ ચાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. પછી નીચે ઉતરતાં બે યાત્રા પૂર્ણ થાય છે.
સૂચના- ઘેટીપાગની નીચે આદપુર ગામછે. ત્યાં એક મંદિર છે. તેમાં નવાણું ઇંચની શ્રી આદીનાથની મોટી પ્રતિમા છે. શક્ય હોયતો ત્યાં અવશ્ય દર્શન કરવા જોઇએ..
Comments
Post a Comment