પાવાપુરી
પ્રભુ મહાવીરની નિર્વાણભૂમિ પાવાપુરીમાં જ્યાં સમવસરણ મંદિર આવ્યું છે, એ સંકુલમાં એક પ્રાચીન કૂવો છે. વિવિધ તીર્થકલ્પકાર શ્રી જિનપ્રભસૂરિ મહારાજ જણાવે છે કે પ્રભુ મહાવીરના નિર્વાણદિને આ સ્થાને દેવતાઓ પણ નિર્વાણદિનનો ઉત્સવ કરતા. અહીંના કૂવાનું પાણી એવું ચમત્કારી હતું કે દીવાના કોડિયામાં એ કૂવાનું પાણી ભરીને પણ દીવાઓ પ્રકટાવી શકાતા. આ કૂવો રાજા નંદીવર્ધને બનાવેલો એમ કહેવાય છે. અહીં જ્યારે પ્રભુ મહાવીરે ૧૬ પ્રહર દેશના ફરમાવેલી ત્યાં નંદીવર્ધન રાજાએ દેશનાના સ્મારક તરીકે એક સ્તૂપની રચના કરાવી હતી. આજે પણ આ સ્તૂપ જોવા મળે છે. આ સ્તૂપ અને કૂવો પૂર્વે ગામથી તદ્ન વિખૂટા પડી ગયા હતા. ગોવાળિયાનાં બાળકો સ્તૂપના ગોખલાઓમાંથી પગલાં ઉઠાવીને કૂવામાં નાખતાં. ધબાકો સાંભળી બાળકો રાજી થતાં. દિવ્ય પ્રભાવે આ પગલાં બીજા દિવસે ફરીવાર ગોખલામાં આવી જતાં. પગલાંનો આવો અદ્ભુત પ્રભાવ હતો. આજે આ પગલાં જલમંદિર પાસે નવા સમવસરણ મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યાં છે.
Comments
Post a Comment